મહા કુંભની આજે પૂર્ણાહુતિ થશે. 144 વર્ષે એકવાર આવતો મહા કુંભનો ધર્મ લાભ ભારતની લગભગ લગભગ અડધી વસ્તી લીધો છે અને લોકો વિદેશથી પણ આવ્યા છે. મારી જેવા કેટલાક છે જે નથી જઈ શક્યા અને એનો અફસોસ જીવનભર મને તો રહેશે જ કારણ આ જીવનમાં તો હવે આ અવસર બીજી વાર આવવાનો નથી. કુંભમાં સ્નાન કેટલું પવિત્ર છે એ કેટલાક માટે ચર્ચાનો વિષય હોઈ શકે ત્રિવેણીમાં સ્નાનથી પાપ ધોવાય કે કેમ એ બાબતે પણ વિવાદ હોઈ શકે પણ આનંદ એ વાતનો છે કે અસંખ્ય લોકોને આપણા રાષ્ટ્રની સભ્યતા અને પરંપરા પર આજે પણ વિશ્વાસ છે. આસ્થા છે. ભીડ, મૃત્યુ, છેતરપિંડી, પ્રદૂષણ, ટ્રાફિકજામ, ભ્રષ્ટાચાર, છુપા કેમેરાથી સ્ત્રીઓના રેકોર્ડિંગ જેવી અનેક બાબતો વિશે વાતો થઈ રહી છે. પરંતુ આ બધાથી ઘણા વધારે પ્રસંગો સકારાત્મક છે. ખબર નહીં કેટલા લાખ લોકોએ અન્યોની અને અપરિચિત ની યાત્રાનો ખર્ચ ઉપાડ્યો છે. કેટલા લાખ લોકોએ આ ઘૂંઘવાતા લોક મહાસાગરને અન્નથી 45-45 દિવસ સુધી તૃપ્ત કર્યા હશે. ખબર નહીં કેટલા કરોડ લોકોએ વ્યવસ્થા જાળવવામાં સહકાર કર્યો ત્યારે 66 કરોડ લોકો એક જ જગ્યાએ સલામત રીતે ભેગા થઈ શક્યા હશે. પોતાનું નથી એવી રસ્તામાં પડેલા એક રૂપિયોથી લઈને મોંઘામાં મોંઘુ ઘરેણું માટી બરાબર સમજી કેટલાએ નજર સામે જવા દીધું હશે.
આ શું બતાવે છે? એ જ જે સ્વામી વિવેકાનંદ એ વર્ષો પહેલાં કહેલું. ભારતની કરોડરજ્જુ, ભારતનો પ્રાણ એ ભારતનો ધર્મ, આપણી શ્રદ્ધા છે. જ્યાં સુધી આપણી શ્રદ્ધા જીવે છે ત્યાં સુધી ભારત નહીં મરે.
અને આ મહા કુંભએ બતાવ્યું છે કે આ શ્રદ્ધા નહીં મરે અને માટે જ, ભારત ક્યારેય નહીં મરે.
લખ્યા તારીખ: 26 ફેબ્રુઆરી, 2025.