કાર્ડીઓગ્રામની લાઈન સીધી થઇ જાય તો?- Problems are part of life. Enjoy It.

આજે શરૂઆત એક કવિતાથી કરું.

જંગે ચડ્યો છું, અક્શૌહિણી સેના સામે જંગે ચડ્યો છું.

અભિમન્યુ શો એકલો હું,

આજ બસ રંગે ચડ્યો છું

અંગ પર ખીલી ઉઠ્યા ઘાવના ગુલમહોર

પણ એજ તો મારો તોર

યુદ્ધનો આનંદ પુરો માણતો……

હું એકલો મયદાનવી દળ-છળ

બધા સામે પડ્યો છું

મેદાન માં લદાયે વાળી ચિંતા શાને

જાણું છું કે હારવાનો નથી હું

સર્વ ને આલિંગન આપનારી પ્રીતથી

ઝળકવા હું કાળ ની સામે પડ્યો છું

એકલો જંગે ચડ્યો છું

–          જયંત પાઠક

કુંડળીના ગ્રહો ના સથવારે પોતાના જીવતર જીવી નાખતા લોકોને કદાચ આવી કવિતાઓ ના પણ સમજાય. “હે ભાગવાન મને મદદ કર” તેના કરતા “હે ભગવાન તું મારી ચિંતા ના કર, છેવટે તો તારું સંતાન છું, હું મારી રીતે લડી લઇશ અને જીતી ને પાછો આવીશ” તેમ કહેવા વાળા લોકો ભગવાન ને વધુ ગમતા હોય છે. અહી એવાજ બે લોકો નો પરિચય આપું છું.

વીમા રુડોલ્ફ :  ૨૨ ભાઈ બહેનો માં આ ૨૦મુ સંતાન જન્મ થી જ આંશિક અપંગ હતું. રંગભેદ ના લીધે સારી ચિકિત્સા ના મળી શકી. અછબડા, ડબલ નુમોનિયા વગેરે બીમારીઓ બાદ છેવટે બાકીનું કામ પોલીઓએ પૂરું કરી દીધું. ડોક્ટરે કહી દીધું કે આ છોકરી ક્યારેય ચાલી નહિ શકે. છેવટે પગ માં લોખંડ નો સળીયો લગાવ્યો. ૧૨ વર્ષની ઉમરે પહેલી વાર ચાલવાનું શરુ કરનારી વીમા પાસે આમ જોઈએ તો અખૂટ હિમત સિવાય કઈ નહોતું. પરંતુ આજ હિમત ના સહારે ચાલતા ચાલતા વીમા દોડવા લાગી. ઝડપ થી દોડવા લાગી, વધુ ને વધુ ઝડપ થી દોડવા લાગી. એટલી ઝડપી કે ૧૯૬૦ ના રોમ ઓલમ્પિકમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટર એમ ત્રણ રેસ માં ગોલ્ડ મેડલ મેળવ્યા.

સ્વામી વિવેકાનંદ : શ્રીમંત કુટુંબ માં જન્મેલા બીદ્ધિશાળી નરેન્દ્ર ના પિતાનું અવસાન થતા જ નરેન્દ્ર ની કસોટીની શરૂઆત થઇ. મિલકતો ના ભાગ પડ્યા. સગા સ્નીહીઓ કે કોર્ટ માં કેસ કર્યા. ધીરે ધીરે પૈસા ની ખેચ પાડવા લાગી. પોતાની માતા અને નાના ભાઈ બહેન ને ખાવાનું મળી રહે તે માટે કેટલાયે દિવસો સુધી નરેન્દ્ર એ ઉપવાસ પણ કર્યા. ઘર માં ખાવા માટે એકાદ દાણો પણ ગોત્યો ના જડે તેવી પરિસ્થિતિ આવી ગઈ. અભ્યાસ હજુ પુરો થયો નહોતો. ઘરનું પૂરું કરી શકાય તેવી કોઈ નોકરી મળતી નહોતી. દેખાવડા હોવાના કારણે કેટલીક પૈસાદાર ઘરની વંઠેલી સ્ત્રીઓ એ નરેન્દ્ર ને “જરૂરિયાતો” પૂરી કરવાના બદલા માં પૈસા આપવાનું વચન આપ્યું. પણ નૈતિક રીતે મજબુત એવા નરેન્દ્ર આવા કોઈ પાપ સામે જુક્યા નહિ. સન્યાસ લીધા પછી કોઈએ વિશ્વ ધર્મ પરિષદ માં શિકાગો જવા કહ્યું અને ટીકીટ કઢાવી દીધી. ત્યાં પહોચ્યા તો રહેવાના કોઈ ઠેકાણા નહિ. ભિખારીઓ ની જેમ પુરતા કપડા વગર -૧૦ ડીગ્રી તાપમાનમાં ઠુંઠવાઈને રાતો પસાર કરી. ખાવાનું ના મળ્યું. ચાલતા જતા લોકો મજાક ઉડાવતા અને બાળકો ટપલી મારતા જતા. છેવટે પરિષદમાં પ્રવેશ આપવાની પણ ના પાડવામાં આવી. મહિનાઓ આ રીતે કાઢ્યા. સાથે કઈ નહતું સિવાય કે હિમંત. બસ એના સહારે દિવસો કાઢ્યા. પરિષદ માં પ્રવેશ મળ્યો. માન મળ્યું. ધન મળ્યું. રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. નરેન્દ્ર માંથી સ્વામી વિવેકાનંદ બનેલા આ મહાપુરુષ ની યાદ માં આજે પણ તેમનો જન્મ દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે. તેમણે શિકાગોમાં જે દિવસે ભાષણ આપ્યું તે દિવસ ને આજે ૧૧૭ વર્ષ પછી પણ દુનિયા “વિશ્વ બંધુત્વ દિવસ” (World Brotherhood Day)  તરીકે ઉજવે છે.

આ ધરતી આવા નરવીરો માટે જ છે. જીવન માં મુશ્કેલીઓ તો આવતી જ રહેવાની. જીંદગી કોઈ ને કયારેય સીધી અને સરળ જતી નથી. ઝીગઝેગ જ હોય છે. અને એમાંજ જીંદગી જીવવાની મજા છે. કાર્ડીઓગ્રામ ની લાઈન સતત ઝીગઝેગ થતી રહેવી જોઈએ. જો એ લાઈન સીધી થઇ જાય તો????

One thought on “કાર્ડીઓગ્રામની લાઈન સીધી થઇ જાય તો?- Problems are part of life. Enjoy It.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *